કેન્સરના દર્દીઓને પૂરતી ઊંઘ મેળવવા યોગા બનશે મદદરૂપ
કેન્સરના દર્દીઓ યોગાનો પ્રયોગ કરીને રાત્રે સારી ઊંઘ મેળવી શકે છે, એટલું જ નહીં યોગા કરીને તેઓ તેમનું એનર્જી લેવલ પણ વધારી શકે છે. આ તારણ અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસનું છે. ન્યૂયોર્કના યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટરે 400થી પણ વધુ કેન્સરના દર્દીઓને પસંદ કર્યા કે જેઓ તેમના બ્રેસ્ટ કેન્સર માટે કેમોથેરપી લઇ રહ્યા હતા. આ દર્દીઓને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપ સામાન્ય હઠયોગા અને શક્તિવર્ધક યોગા કરતું હતું જેમાં તેમણે એક મહિના સુધી ખાસ આસનો, શ્વસનક્રિયા અને કસરત પર અઠવાડિયામાં બે વખત ધ્યાન આપવાનું હતું. જ્યારે બીજા ગ્રુપે તેમની પહેલાની જ મેડિકલ પ્રેક્ટિસને અનુસરવાનું હતું. જેમણે યોગાની મદદ લીધી હતી તેવા કેન્સર પીડિતો તેમની ઉપર પ્રમાણેની યોગાની એક્સરસાઇસ બાદ ઊંઘની ગોળીઓમાં ઘટાડો કરી સારી ઊંઘ લઇ શક્યા. આ દર્દીઓની ઊંઘની ગુણવત્તામાં 22 ટકા જેટલો વધારો થયો જે યોગાની મદદ નહીં લેનારા દર્દીઓની સરખામણીએ બેગણો હતો. એટલું જ નહીં યોગાએ આ દર્દીઓના થાકમાં પણ લગભગ 50 ટકાનો ઘટાડો કર્યો. આ અભ્યાસની આગેવાની કરી રહેલા સંશોધનકર્તા કરેન મુસ્તિઅન કહે છે કે કેન્સરના દર્દીઓ માટે આ સારા સમાચાર છે. "કેન્સરના દર્દીઓનો થાક દૂર કરવા માટે આનાથી યોગ્ય કોઇ દવા છે જ નહીં." કેન્સરના દર્દીઓનો યોગા પરનો તેમનો ઉપરનો અભ્યાસ આવતા જૂન મહિનામાં અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીની વાર્ષિક મીટિંગમાં રજૂ થશે. અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીના પ્રેસિડેન્ટ ડગ્લાસ બ્લેયને કે જેઓ આ અભ્યાસના સંશોધનમાં જોડાયા ન હતા તેમણે પણ જણાવ્યું હતું, "આ પ્રકારનો યોગા પ્રોગ્રામ કેન્સરના દર્દીઓને મદદરૂપ બની શકે છે." |
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો